Updated: Jun 6th, 2024


– મહાપાલિકા કોમન પ્લોટમાં ઓવરહેડ પાણીની ટાંકી અને સમ્પ બનાવશે
– કોમન પ્લોટ વપરાશ માટે ખુલ્લો રહેવા દેવા સ્થાનિક રહીશોની માંગણી : કોમન પ્લોટની આસપાસ રહેતા રહીશોએ વિરોધ કરતા મનપાએ પોલીસ બોલાવી
ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષરપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આજે બુધવારે મહાપાલિકાએ ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરતા સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો તેથી મહાપાલિકાએ પોલીસ સ્ટાફને બોલાવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ લાલ આંખ કરી મામલો થાળેે પાડયો હતો અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષરપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ઓવરહેડ ટાંકી અને સમ્પ બનાવવા માટે મહાપાલિકાએ ટેન્ડર બહાર પાડી કામ આપ્યુ છે. આ કામગીરી માટે આજે બુધવારે કોમન પ્લોટમાં જેસીબી મશીનથી ખાડા ખોદવાની કામગીરી મહાપાલિકાએ હાથ ધરી હતી તેથી કોમન પ્લોટની આસપાસ રહેતા લોકોએ એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ લોકોને સમજાવ્યા હતા પરંતુ લોકો માન્ય ન હતા તેથી મહાપાલિકાએ દબાણ સેલની ટીમ બોલાવી હતી અને ત્યારબાદ વિરોધ વધતા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ કર્મચારીઓએ લોકોને સમજાવ્યા હતા પરંતુ લોકોએ છતાં વિરોધ યથાવત રાખતા પોલીસ કર્મચારીઓએ કડક હાથે કામગીરી લીધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. પોલીસ કર્મચારીઓએ લાલ આંખ કરતા મામલો થાળે પડયો હતો અને ત્યારબાદ મહાપાલિકાએ ખાડા ખોદવાની કામગીરી હાથ ધરી હતી તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
અક્ષરપાર્ક સોેસાયટીના કોમન પ્લોટમાં બે-અઢી કલાક માથાકૂટ ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ ઓવરહેડ પાણીની ટાંકી અને સમ્પ બનાવવા અમૃત-રની યોજનાની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી, ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાણીની ટાંકી અને સમ્પ બનાવવાની કામગીરી આશરે ૧પ માસ ચાલશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.
અક્ષરપાર્ક સોસાયટીએ દોઢ વર્ષ પૂર્વે મનપાને કોમન પ્લોટ આપ્યો હતો
શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષરપાર્ક સોસાયટીના પ્રમુખે ડિસેમ્બર-ર૦રરમાં લેખીતમાં મહાપાલિકાને આપ્યો હતો, ત્યારબાદ મહાપાલિકાએ ઓવરહેડ પાણીની ટાંકી અને સમ્પ બનાવવાની યોજના બનાવી હતી. હવે કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે કોમન પ્લોટની આસપાસ રહેતા કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તેમ મનપાના સુત્રોએ જણાવેલ છે.
બે દિવસ પૂર્વે પણ લોકોએ વિરોધ કરતા મનપાની ટીમ પરત આવી હતી
શહેરના કુંભારવાડાની અક્ષરપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ઓવરહેડ ટાંકી અને સમ્પ બનાવવાની કામગીરી માટે મનપાની ટીમ બે દિવસ પૂર્વે સ્થળ પર ગઈ હતી પરંતુ સ્થાનિક લોકોએ વિરોધ કરતા કર્મચારી સહિતની ટીમ પરત આવી હતી. આ વિરોધ પાછળ કેટલાક લોકોનુ રાજકારણ પણ કારણભૂત હોવાનુ મનપામાં ચર્ચાય રહ્યુ છે.