Updated: Jun 6th, 2024


– તંત્રવાહકોની ઉદાસીનતાથી લોકોમાં પ્રબળ આક્રોશ
– ચોમાસા પહેલા આ કામગીરી શરૂ કરી પુર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત
ગઢડા : ગઢડા(સ્વા.) તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના રોજીંદા વાહન વ્યવહાર માટેના રસ્તાઓની હાલત તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. આ ગંભીર બાબતે સત્તાધીશોની લાપરવાહી ગ્રામજનોમાં ટીકાને પાત્ર બની રહેલ છે.
ગઢડા તાલુકાના રળીયાણા, પડવદર તેમજ ઇંગોરાળા (ગીરા)ને જોડતા તદ્દન બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ડિઝીટલ અને ફાસ્ટ વાહન વ્યવહારના યુગમાં પરિવહન માટે સારા રસ્તાઓની ખૂબ જરૂરીયાત રહેતી હોય છે. આ પંથકના સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તાના નવિનીકરણ માટે રોડ અને બિલ્ડીંગ વિભાગ તરફથી મુકવામાં આવેલા એસ્ટીમેન્ટ મુજબ રસ્તાનુ કામ મંજૂર કરી દેવામાં આવ્યુ છે. પરંતુ તંત્રવાહકોના ઉદાસીન વલણના કારણે મંજૂર થયેલા રસ્તાનું કામ હજુ સુધી શરૂ કરવામાં ન આવતા તંત્રના ઠાગા-ઠૈયા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ રસ્તાની કામગીરી તાત્કાલિક અસરથી ચોમાસા પહેલા શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે. આ માટે ગ્રામજનો તરફથી તાજેતરમાં જીલ્લા પંચાયતના માર્ગ અને બાંધકામ શાખાની બેદરકારી દૂર કરવા અને રસ્તાનુ કામ શરૂ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી તેમજ ધારાસભ્ય સહિતના લાગતા વળગતા લોકોને લેખિતમાં રજૂઆત કરી રસ્તાનો પ્રશ્ન તાકીદે હલ કરવા માંગણી કરી છે. ચૂંટણીમાં મત માંગવા નિકળતા અને જવાબદાર લોકો પ્રજાની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા માટે ઉદાસીનતા ખંખેરી ખરા અર્થમાં સાચી દિશામાં જરૂરી કામગીરી અને વિકાસને વેગ આપવા માટે પોતાની ફરજ નિાપૂર્વક બજાવી લોકોની હાલાકી દૂર કરે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.