ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે.

જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એક્ટિવ થઇ ગયા હતા.આ બેઠક માટે ઉમેદવારોના નામને લઇને ખૂબ લાંબી રાહ જોવી પડી છે. છેલ્લી ઘડીએ બંને પક્ષોએ પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. આજે કોંગ્રેસે વાવ બેઠકના ઉમેદવાર માટે ગુલાબસિંહ રાજપૂતનું નામ કર્યું હતું. ત્યારબાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર મારતાંની સાથે જ વાવ બેઠકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.ભાજપ દ્વારા પહેલા 9 લોકોને સુચના આપવામાં આવી હતી, મેન્ડેટ છેલ્લી ઘડીએ આપવાની વાત હતી. કોંગ્રેસની રણનિતિ પણ એવી જ હતી. પરંતુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા ભાજપે સ્વરૂપજીને મેદાનમાં ઉતાર્યા તેથી બાકીના કોઈએ ફોર્મ ભરવાનું રહેતુ નથી. નારાજ લોકોને પણ મનાવી લેવાયા હોવાની ચર્ચા છે.