મોડાસા (યોગેશ શાહ): અરવલ્લી જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ નરસિંહા વીર બાવજી મંદિરના પૂજારી શ્રી બાલકૃષ્ણભાઈ રાવલ છેલ્લા એક વર્ષથી પૂજા-અર્ચના ઉપરાંત અનેક સરાહનીય સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમની આ કામગીરીને ભાવિક ભક્તો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. શ્રી બાલકૃષ્ણભાઈ રાવલ નિયમિતપણે મંદિર આસપાસ રહેતા શ્વાન માટે દૂધ અને બિસ્કિટની વ્યવસ્થા કરે છે, જે તેમની પ્રાણીઓ પ્રત્યેની અપાર કરુણા દર્શાવે છે. આ ઉપરાંત, તેમણે વીર બાવજીના નિયમિત થાળ ધરાવવાના પાત્રો જેવા કે થાળી, વાટકી, અને ગ્લાસ માટે આશરે ₹1 લાખની કિંમતના ચાંદીના પાત્રોની વ્યવસ્થા કરી છે, જે તેમની શ્રદ્ધા અને સમર્પણ ભાવનાને ઉજાગર કરે છે.

તેમણે આજુબાજુની શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે પણ પોતાનો ફાળો આપ્યો છે. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પણ નોંધનીય છે. અગાઉ તેમના જ પરિવારના મોભી, પ્રહલાદભાઈ જમનીરામ રાવલ દ્વારા વીર બાવજી મંદિરના પટાંગણમાં ખૂબ જહેમત ઉઠાવીને વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જે આજે વટવૃક્ષ સમાન બની “પ્રહલાદ વન” તરીકે ઓળખાય છે. શ્રી બાલકૃષ્ણભાઈએ આ વૃક્ષો તેમજ ગરુડેશ્વર મંદિરના પરિસરમાં આવેલા વૃક્ષોને પણ રંગરોગાન કરીને 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિનને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. પૂજારી શ્રી બાલકૃષ્ણભાઈની આ અદ્ભુત સેવારૂપી કામગીરી, તેમની સેવા નિષ્ઠા અને પ્રાણીઓ પ્રત્યેની ભાવનાને કારણે ભાવિક ભક્તો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે અને ખરેખર તેમની આ અદ્ભુત સેવા કાર્યો બિરદાવવા યોગ્ય છે.