યોગેશ શાહ, મોડાસા: જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની મોડાસા શાખાનો શપથવિધિ કાર્યક્રમ સરસ્વતી બાલમંદિર મંડળ હોલ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે તાજેતરના પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાયન્ટ્સ મોડાસાએ આગામી ચોમાસામાં દુર્ઘટનાના મૃતકોના નામે ૨૭૪ વૃક્ષો વાવીને અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ધાર કર્યો છે.

દેવાયત ધામના લઘુબંધુ મહેશગીરી, જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કમિટીના સભ્ય નિલેશ જોશી, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના સુરેન્દ્રસિંહ બાપુ અને ઝોન વનના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલની અધ્યક્ષતામાં આ શપથવિધિ યોજાઈ હતી. જેમાં જાયન્ટ્સ મોડાસાના નવા પ્રમુખ તરીકે પ્રદીપ ખંભોળજા અને મંત્રી તરીકે વિનોદ ભાવસાર તેમજ તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા. સાથે જ સહિયર મોડાસાના નવા પ્રમુખ અમિતા સોલંકી અને છાયાબેન સોની તથા તેમની ટીમે પણ શપથ લીધા.
છેલ્લા ૧૬ વર્ષથી નેત્ર નિદાન કેમ્પ, વૃક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્પ, સ્કૂલ ચલો બેટીયા, યોગા કેમ્પ અને જરૂરિયાતમંદોને મદદ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થા દ્વારા આગામી સમયમાં વધુ વેગથી કામગીરી કરવાની આશા વ્યક્ત કરાઈ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાયન્ટ્સ ધર્મેન્દ્ર ત્રિવેદી અને અમરીશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું.