Updated: Jun 6th, 2024


– કૌભાંડમાં સંડોવાયેલા અને જેલવાસ ભોગવતા 2 નામચીન સહિત 3 શખ્સ સામે પોલીસ ફરિયાદ
– ભાવનગરના વાઘાવાડી રોડ પર સાયન્સ કોલેજ પાસેની સોનાની લગડી સમાન વાઘ બંગલોની મિલકતમાં વાંધા અરજી કરી નાણાં માંગ્યા : સુરતના બિલ્ડરે 3 માસ પૂર્વે પુરાવા સાથે એસ.પી.ને અરજી કરેલી
ભાવનગર : જાલી દસ્તાવેજો, વસિયતનામુ ઉભું કરી સરકારી કચેરીઓમાં અરજી અને નોટિસો સામે વાંધા અરજી કરી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી તગડી રકમ પડાવવાનું મોટું ષડયંત્ર રચનારી તોડબાજ ટોળકીની વરતેજ બાદ ભાવનગરમાં વધુ એક કરતૂત બહાર આવી છે. શહેર વાઘાવાડી રોડ પરની કરોડોની મિલકતમાં મોટી રકમનો તોડ કરવાના ઈરાદે બિલ્ડર્સને ધમકાવવાના કિસ્સામાં સુરતના બિલ્ડરે ત્રણ માસ પૂર્વે ભાવનગર જિલ્લા પોલીસ વડાને પુરાવા સાથે અરજી કર્યા બાદ ચિત્રાના ‘ગલકા’, તેના દિકરા અને જીઈબીનું મોટું કૌભાંડ આચનારા શખ્સ સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા બનાવટી દસ્તાવેજ કૌભાંડ ફરી ચર્ચાના આરણે ચડયું છે.
સમગ્ર ઘટનાની મળતી વિગત એવી છે કે, શહેરના વાઘાવાડી રોડ, સાયન્સ કોલેજ સામે આવેલ વાઘ બંગલો તરીકે ઓળખાતી મિલકતને (પ્લોટ નં.૨૧૭૬-૨૧૭૭/૦૪થી ૨૨) (કુલ પ્લોટ ૧૯, ક્ષેત્રફળ ૭૭૪૦.૩૬ ચો.મી.) વિજયભાઈ વલ્લભભાઈ કાસોદરિયા (ઉ.વ.૫૦, રહે, ૧૧૦૧, ધરમ પેલેસ, પાર્લે પોઈન્ટ, અઠવા લાઈન્સ, સુરત)એ વેચાણ કરવા માટે તેમના વકીલ મારફત ગત તા.૨૬-૬-૨૦૨૩ના રોજ સમાચાર પત્રમાં જાહેર નોટિસ આપી હતી. આ નોટિસ પ્રસિદ્ધ થયા બાદ ચિત્રામાં ચામુંડા સોસાયટી, પ્લોટ નં.૬/એમાં રહેતો અને બનાવટી દસ્તાવેજોથી તગડી રકમ પડાવવામાં માહેર ભેજાબાજ શખ્સ મહાવીરસિંહ કનુભા ગોહિલ નામના શખ્સે તેના દિકરા રવિરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ, સતુભા સરવૈયા અને અન્ય મળતિયાઓ સાથે પૂર્વઆયોજીત ગુનાહિત કાવતરૂ રચી વિજયભાઈ સાથે ઠગાઈ કરી મોટી રકમ પડાવવાના હેતુથી મહાવીરસિંહ ઉર્ફે ગલકુંએ તેના પિતા કનુભા વખતસિંહ ગોહિલના નામના બનાવટી સાટાખત અને વસિયતનામુ બનાવી તેના ઉપર નોટરી એડવોકેટ ભાલચંદ્ર બી. ગાંધી (રજી નં.૩૦૧૫)ના સિક્કાઓ કરી બનાવટી દસ્તાવેજો બનાવી જુદી-જુદી કચેરીઓમાં અરજી તેમજ વાંધા અરજી કરી બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત રવિરાજસિંહ નામના શખ્સે વાઘાવાડી રોડ સ્થિત મિલકતવાળી જગ્યાએ રૂબરૂ જઈ જમીનને વેચાણથી લેનાર મે. શિવશક્તિ અને હેરાલ્ડ ગુ્રપ બિલ્ડર્સના ભાગીદાર કુલદીપસિંહ રવુભા ગોહિલને જમીન ખાલી નાંખજો નહીંતર સારાવાટ નહીં રહે અને આ મેટરની પતાવટ કરવી હોય તો તમારે મહાવીરસિંહ અને સતુભા સરવૈયાને પૈસા આપવા જ પડશે તેમ કહીં ગર્ભિત ધમકી આપી હતી.
જે બનાવ અંગે સુરતમાં સાગર બિલ્ડ નામે બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડર વિજયભાઈ કાસોદરિયાએ આજે તા.૫-૬ને બુધવારે બનાવટી દસ્તાવેજ કાંડના સૂત્રધાર મહાવીરસિંહ કનુભા ગોહિલ, તેના પુત્ર રવિરાજસિંહ, સતુભા સરવૈયા તેમજ તપાસમાં ખુલે તે અન્ય ભેજાબાજ શખ્સો સામે સ્થાનિક નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી (ર), ૫૦૬ (૧) મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ભાવનગર એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ હાથ ધરી છે.
વધુમાં ગત તા.૨૬-૬-૨૦૨૩ના રોજ વેચાણ કરવા માટે અપાયેલી જાહેર નોટિસ બાદ તા.૩-૭-૨૦૨૩ના રોજ વાંધા રજૂ કરતી નોટિસ અપાઈ હતી. ત્યારબાદ ગત તા.૭-૭-૨૦૨૩ના રોજ મહાવીરસિંહ નામના શખ્સે લેખિતમાં વાંધા અરજી, જૂના ટાઈપ રાઈટરમાં ટાઈપ કરેલા સાટાખતની કોપી, વસિયતનામાની કોપી, સમાચાર પત્રની નોટિસની નકલ, સિટી સર્વે ઓફિસના મિલકત કાર્ડની ઉત્તરોત્તર નકલ બિલ્ડર વિજયભાઈના એડવોકેટને પોસ્ટ મારફત મોકલી હતી. જેની તપાસ કરતા સાટાખત, વસિયતનામું બનાવટી અને ઉપજાવી કાઢેલું હોવાનું તેમજ એડવોકેટ ભાલચંદ્ર ગાંધી વર્ષ ૧૯૭૫માં નોટરી વકીલ તરીકે કાર્યરત ન હોવા છતાં મહાવીરસિંહ ઉર્ફે ગલકાએ તેમના નામના ખોટા સહી-સિક્કા કર્યા હોવાનું તેમજ એડવોકેટને તા.૨૯-૦૮-૨૦૦૨થી નોટરી વકીલ તરીકે નિમણૂક મળી હતી અને તા.૨૩-૨-૨૦૧૦ના રોજ તેઓનું મૃત્યુ થયેલું હોવાનું એડવોકેટના દીકરીએ તા.૧૬-૦૮-૨૦૧૦ના રોજ ગુજરાત સરકારના લીગલ વિભાગમાં પત્ર લખી જાણ કરી મરણનો દાખલો, નોટરીનું ઓળખપત્ર જમા કરાવ્યાનું બહાર આવ્યું હતું. તેમજ તા.૨૭-૦૬-૧૯૭૫માં બે જ પ્લોટ હોવા છતાં ભેજાબાજોએ સાટાખતમાં પ્લોટ નં.૨૧૭૬-૨૧૭૭/૪થી ૨૨નો ઉલ્લેખ કરી પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. જે જૂઠ્ઠાણું પણ પકડાય ગયું હતું.
ઉલ્લેખનિય છે કે, તોડબાજ ટોળકીએ બનાવટી દસ્તાવેજો બનાવી ઘણાં બિલ્ડર્સ, ખેડૂતો અને વેપારીઓ પાસેથી મોટી રકમના તોડ કર્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં બિલ્ડરે ઉલ્લેખ કર્યો છે. તો મુખ્ય સૂત્રધાર શખ્સ મહાવીરસિંહ ગોહિલ વિરૂદ્ધ અગાઉ વર્ષ ૨૦૧૭માં ગંગાજળિયા પોલીસમાં તેમજ ગત તા.૯-૫-૨૦૨૪ના રોજ વરતેજ પોલીસમાં જાલી દસ્તાવેજો, વાંધા અરજી અને જુદી-જુદી સરકારી કચેરીઓમાં અરજી કરી સેટલમેન્ટના નામે મોટી રકમ પડાવવાનો કારસો ઘડયાનો ગુનો દાખલ થયેલો છે.
જેલની હવા ખાતા બે ભેજાબાજનો કબજો સંભાળાશે, એક શખ્સની શોધખોળ
અગાઉ વરતેજની જમીન મામલે તોડ કરવા બનાવટી સાટાખત અને કુલમુખત્યારનામુ બનાવી વાંધા અરજીનું તૂત કરવાના પ્રકરણમાં મહાવીરસિંહ કનુભા ગોહિલ સામે ફરિયાદ થયા બાદ ક્રાઈમ બ્રાંચે મહાવીરસિંહ ઉર્ફે ગલકું, અમદાવાદનો નોટરી ચંદ્રકાંત પરશોત્તમભાઈ સોલંકી, ભૂતકાળમાં રાજકીય ધરોબો ધરાવતો પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા ગોહિલ અને જીઈબી કૌભાંડ આચરનારો સતુભા ઉર્ફે છત્રપાલસિંહ કલ્યાણસિંહ સરવૈયા નામના શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હાલ ષડયંત્રના ચારેય સાથીદાર જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે એક મહિનાની અંદર મહાવીરસિંહ ગોહિલ, સતુભા સરવૈયા સામે વધુ એક ગુનો દાખલ થતાં આ બન્ને ભેજાબાજનો જેલ ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળવામાં આવશે. જ્યારે મહાવીરસિંહ ગોહિલનો પુત્ર રવિરાજસિંહ ફરાર હોય, તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કરી દેવાયાનું તપાસનીસ અધિકારી એલસીબી પીએસઆઈ વી.વી. ધ્રાંગુએ વાતચીતમાં જણાવ્યું છે.
ભાવનગર સ્ટેટની માલિકીની મિલકત અલગ-અલગ પાર્ટી પાસેથી ખરીદી હતી
વાઘાવાડી રોડ પરના વાઘ બંગલોની મુળ માલિકી ભાવનગર સ્ટેટની હતી. આ બન્ને મિલકત જગન્નાથ ભવાનીશંકર પંડયા (રહે, ઘાંઘળી, તા.સિહોર)ને તા.૧૦-૯-૧૯૩૭ના રોજ ૯૯ વર્ષના ભાડા પટ્ટે મળી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૪૨માં જગન્નાથ પંડયાનું અવસાન થતાં ભાવનગર સિટી સર્વે કચેરીમાં તા.૯-૧૨-૧૯૭૭ના રોજ આ બન્ને પ્લોટની વારસાઈ નોંધમાં તેમના પત્ની ભગીરથીબેન પંડયા, દિકરા પ્રિતમભાઈ પંડયા વગેરે સાત વ્યક્તિના નામ ઉમેરાયા હતા. તા.૨૩-૫-૧૯૯૪માં આ બન્ને પ્લોટનું એકત્રિકરણ કરાયું અને ભાવનગર મહાનગરપાલિકામાં સબ પ્લોટીંગ પ્લોટ નં.૧થી ૨૨ મંજૂર કરાયા બાદ સિટી સર્વે કચેરીમાં નોંધ સાથે પ્લોટ નં.૧થી ૬ અન્ય વ્યક્તિઓને વેચાણ કરાયા હતા. બાદમાં વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૮ના સમયગાળામાં વિજયભાઈ કાસોદરિયાએ અલગ-અલગ પાર્ટી પાસેથી અલગ-અલગ તારીખે પ્લોટ ખરીદ્યા હતા અને તા.૧૮-૧૦-૨૦૨૨ના રોજ મ્યુનિ.માં તમામ ૧૯ પ્લોટનું એકત્રિકરણ કરાવી વેચાણ માટેની જાહેર નોટિસ આપી તા.૧૫-૧૨-૨૦૨૩ના રોજ રજી. દસ્તાવેજ નં.૯૪૨૯થી મે. શિવશક્તિ અને હેરાલ્ડ ગુ્રપ બિલ્ડર્સ નામની ભાગીદારી પેઢીને મિલકત વેચાણ કરી આપી હતી.