માણસા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોના ચાલતા રિસોર્સ રૂમ ઉપર પરંપરાગત રીતે જન્માષ્ટમી તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આજના આ પર્વની ઉજવણીમાં દિવ્યાંગ બાળકોના વાલી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પર્વની ઉજવણીમાં આઈ.ઈ.ડી.ના તમામ સ્ટાફ જોડાયો હતા. જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં દિવ્યાંગ બાળકો શ્રીકૃષ્ણ અને રાધા બન્યા હતા અને મટકી ફોડ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો ગરબા પણ રમ્યા હતા અને “નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” નો નાદ છવાયો હતો. દરેક બાળકને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

આજના પવિત્ર દિને દિવ્યાંગ બાળકો માટે દાતાના સહયોગ દ્વારા સામુહિક જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બી.આર.સી.કો.ઑ.મનિષભાઈ પંડ્યા દ્વારા બાળકો અને વાલીઓને પ્રાસંગિક પ્રવચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ, દિવ્યાંગ બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી.