પાટનગર ગાંધીનગરમાં આજે કાયમી ભરતીની માંગ સાથે અને સરકારની કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના સમાચાર મળી રહ્યા છે. આ મહા આંદોલનમાં વધુને વધુ ઉમેદવારો જોડાય તે માટે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પણ વિડીયો વાયરલ કર્યો છે. ઉમેદવારો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે. રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરી કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો,

પરંતુ હવે હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવા તૈયાર નથી અને કાયમી ભરતીની જ ઉગ્ર માંગ કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરમાં મહા આંદોલનની ચીમકી આપવામા આવી છે અને આજે સવારે 11 વાગ્યે ગાંધીનગરમાં સચિવાલય– જીવરાજ મહેતા ભવન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થશે. ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન-દેખાવ કરીને ઉમેદવારો કાયમી ભરતી માંગ કરશે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો હવે સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર છે.