ગાંધીનગર: માધવગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું મતદાન આજે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ગ્રામજનોના સાથ અને સહકારથી લોકશાહીના આ પર્વને કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરી પોતાનો ઉત્સાહ અને ફરજ અદા કરી છે.

આ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચાર મહિલા ઉમેદવાર અરુણાબેન ગુલાબજી રાઠોડ , અસ્મિતાબેન સંજયજી ચૌહાણ , ગીતાબેન સતીશભાઈ ચૌધરી અને પુંજીબેન રામાજી મકવાણા (ઠાકોર)એ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનું જાહેરનામું ૧૧ જૂન, ૨૦૨૫ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. દરેક ઉમેદવારે જોરશોરથી પ્રચાર કર્યો હતો. માધવગઢ સહિત રાજ્યભરની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં પણ આજે મતદાનનો માહોલ જોવા મળ્યો હતો. હવે આ ચાર સરપંચ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થયું છે. નોંધનીય છે કે 25 જૂનના રોજ આ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને લોકોની આતુરતાનો પણ અંત આવશે. માધવગઢ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ચારેય ઉમેદવારોએ માધવગઢ ગામની જનતાનો બે હાથ જોડી અંતે આભાર માન્યો હતો.