હિંમતનગર (રાજેશ ચાવડા): સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ગામના વતની અને ગાંધીનગરમાં ચેતક કમાન્ડો તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર બાબુભાઈ જાદવને રાષ્ટ્રપતિ મેડલ અને જીવન રક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાકેશભાઈએ ત્રણ વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરી રહેલા એક દર્દીનો જીવના જોખમે બચાવ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે રાજ્યમાં આવેલી કુદરતી હોનારતો સમયે પણ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
તેમની આ બહાદુરી અને સેવાભાવ બદલ ભારત સરકાર દ્વારા તેમને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટી અને ડીવાયએસપી બી.એ. ચુડાસમાએ જવાન રાકેશ જાદવનું સન્માન કર્યું હતું. નોંધનીય છે કે રાકેશભાઈના પિતા અને ભાઈ પણ પોલીસ દળમાં ફરજ બજાવે છે, જે દર્શાવે છે કે તેમનો સમગ્ર પરિવાર દેશસેવા માટે સમર્પિત છે. આ સિદ્ધિ સમગ્ર જિલ્લા અને દેશ માટે ગર્વની બાબત છે.
