ગાંધીનગર: રવિવારે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં રાજકારણ ગરમાયું છે. ૧૯૬માંથી માત્ર ૮૯ ગ્રામ પંચાયતોમાં જ ચૂંટણી જંગ બાકી રહ્યો હોવાથી, સરપંચ પદના ઉમેદવારો જીત માટે કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રચાર સમાપ્ત થયા બાદ હવે “ઓપરેશનો” શરૂ થયા છે, જ્યાં ઉમેદવારો નાણાં અને વસ્તુઓનો બેફામ ઉપયોગ કરી રહ્યા હોવાની પણ લોક ચર્ચા થઈ રહી છે. ગામના આગેવાનોને ખુલ્લી ઓફરોથી લઈને ઘરદીઠ રૂપિયા, દારૂ અને ચવાણા જેવી વસ્તુઓનું વિતરણ કરી લાલચ આપવામાં આવી રહી છે. “કતલની રાત” તરીકે ઓળખાતી શનિવારની રાત હાર-જીતના સમીકરણો બદલી નાખશે તેવી અટકળો ચાલી રહી છે. સરપંચનું પદ આર્થિક અને સામાજિક મોભો ધરાવતું હોવાથી, ઉમેદવારો આ પ્રતિષ્ઠાનો જંગ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, જેના કારણે ગામડાનું રાજકારણ ટોચ પર પહોંચ્યું છે.
