(યોગેશ શાહ) મોડાસા: આગામી ૨૧મી જૂનના ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે વૈશ્વિક સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” થીમ અને “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ના ધ્યેય સાથે ઉજવણી થશે, જે વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સ્વાસ્થ્ય પ્રત્યેની ચિંતા દર્શાવે છે. અરવલ્લી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટર્સમાં યોજાશે, જેમાં આશરે ૨૫૦૦ લોકો ભાગ લેશે. આ ઉપરાંત, ધનસુરા ( જે.એસ. મહેતા હાઇસ્કુલ), બાયડ ( એન.એચ. શાહ હાઇસ્કુલ), માલપુર ( હરિઓમ વિદ્યાલય), ભિલોડા ( આર.જે. તન્ના પ્રેરણા વિદ્યામંદિર) અને મેઘરજ ( મૉડેલ સ્કુલ) ખાતે પણ તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વ્યાપક આયોજન દ્વારા જિલ્લાના વધુમાં વધુ નાગરિકો યોગ સાથે જોડાઈને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત થાય તેવો હેતુ છે.
