ગૃહ મંત્રાલય ભારત સરકાર તથા ગૃહ વિભાગ ગુજરાત સરકાર તરફથી મળેલી સૂચના અન્વયે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા શહેરી વિસ્તારમાં તા. ૩૧-૦૫-૨૦૨૫, શનિવારના રોજ સાંજે ૬ થી ૮:૧૫ કલાક દરમ્યાન “ઓપરેશન શીલ્ડ” મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલનું આયોજન ફક્ત એક તાલીમના ભાગરૂપે કરાયું છે. જેમાં તમામ નાગરિકો દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવે તે અપેક્ષિત છે તથા આ તાલીમ બાબતે ખોટી અફવા નહી ફેલાવવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરાયો છે.

મોડાસા શહેરમાં આ મોકડ્રીલના ભાગરૂપે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવશે જેની સૌ નાગરિકોને નોંધ લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જણાવાયું છે. સાંજે ૦૮:૦૦ વાગ્યે મોડાસા શહેર વિસ્તારમાં નગરપાલિકા સાઇરન વગાડી હવાઈ હુમલો થવાનો છે એવો સંકેત આપશે. આ સાઇરન ૨ મિનિટ સુધી ચઢતી- ઊતરતી તીવ્રતાથી વાગશે. સાઇરન સંભળાય એટલે હવાઈ હુમલો થવાનો છે એમ માનીને દરેક વ્યકિતએ નજીકના સુરક્ષિત સ્થાને પહોંચવાની તૈયારી રાખવી. સુરક્ષિત સ્થાન નજીકનું કોઈપણ પાકું મકાન/દુકાન હોઈ શકે. કોઈ પણ અફવા નહિ માનવી તથા વોટ્સેપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી માહિતીને સરકારના માહિતી વિભાગની અધિકૃત માહિતી સાથે ચકાસીને પછી જ ખરી માનવી તથા તેનો પ્રસાર કરવો.
રાત્રે ૮:૦૦ કલાકે અંધારપટ (બ્લેક આઉટ) કરવાનો રહશે. તેની જાણ કરવા ફરી રાત્રે ૮.૦૦ કલાકે સાઇરન વગાડવામાં આવશે જે ૨ મિનિટ સુધી ચઢતી-ઊતરતી તીવ્રતાથી વાગશે. ૮:૦૦ થી ૮:૧૫ કલાક સુધી ૧૫ મિનિટ અંધારપટ (બ્લેક આઉટ) રાખવું જેમાં દરેક નાગરિકે તેઓના ઘર/ઓફિસની તમામ લાઇટ બંધ કરી દેવાની રહશે તથા તમામ સ્થાનિક સત્તામંડળોએ સ્ટ્રીટ લાઇટ તથા જાહેર જગ્યાઓ પર અંધારપટ કરવાનો રહશે. આ અંધારપટ મુખ્યત્વે દુશ્મનને ક્યાં હુમલો કરવો તે ખબર ન પડી શકે એટલા માટે કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે સૌ નાગરિકો પોતાની રીતે શહેર/ગામમાં અંધારપટ કરે તે આ મોકડ્રીલનો હેતુ છે. અંધારપટ (બ્લેક આઉટ) દરમ્યાન વેપારી/દુકાનદાર નાગરિકોને પોતાની દુકાનો આગળ લાગેલા લાઇટ બોર્ડ બંધ રાખવા તથા વાહનચાલકોએ રસ્તે ચાલતા વાહનોની લાઇટ બંધ કરીને સ્વેચ્છાથી રસ્તાની સાઇડ પર ઊભા રેહવા અપીલ કરાઈ છે.
સાંજે ૮.૧૫ કલાકે હવાઈ હુમલોની મોકડ્રીલ પૂર્ણ થવાના સંકેત સ્વરૂપે ત્રીજી વખત સાઇરન વગાડવામાં આવશે. પરંતુ આ સાઇરન ર મિનિટ સુધી એક સરખી તીવ્રતાથી વાગશે જે સંકેત આપે છે કે, હવાઈ રેડ સમાપ્ત થઇ છે. એક સરખી તીવ્રતા વાળું ૨ મિનિટ સાઇરન વાગ્યેથી નાગરિકો રાબેતા મજબ પોતાની કામગીરી કરી શકશે. આ મોકડ્રીલ સમયે કોઈ પણ સહાય મેળવવા તથા સાચી માહિતી મેળવવા પોલીસ કન્ટ્રોલ રૂમનંબર ૦૨૭૭૪-૨૫૦૧૧૧/૨૧૨, મો.નં. ૯૫૧૨૩ ૩૬૬૨૨ અથવા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ નંબર ૦૨૭૭૪-૨૫૦૨૨૧ પર સંપર્ક કરવા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
અહેવાલ: યોગેશ શાહ મોડાસા