ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ગરમીથી પરેશાન લોકો ઠંડક રાત્રે આરામ માટે ધાબે સુવા જતાં હોય છે જેનો લાભ લઈ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગર જિલ્લાના છાલા નજીક મોતીપુરા ગામમાં બની છે. જેમાં એક પરિવાર ગરમીમાં રાત્રે ઘરના ધાબા પર સુવા ગયા હતા અને તસ્કરોએ તેનો લાભ લઈ સોના ચાંદીના દાગીના સહિત કુલ ૧.૯૧ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થયા હતા. આ મામલે પરિવારે ચિલોડા પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે આ મામલે તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
