મોડાસા: ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે મોડાસાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ દ્વારા એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર સાહિત્યકારો, પત્રકારો, સમાજસેવકો તેમજ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો. મંત્રીશ્રીના હસ્તે વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં શ્રી સરડોઈના વતની અને ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસારને તેમના સેવાકીય કાર્યો બદલ ડોક્ટર આંબેડકર સેવાશ્રી નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. શ્રી ભાવસારને સમાજમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સન્માનિત વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો.
અહેવાલ: યોગેશ શાહ, મોડાસા