અરવલ્લી જિલ્લાના ભાણમેર ગામમાં ગત રાત્રે લગ્નના વરઘોડામાંથી પરત ફરી રહેલા ત્રણ લોકો પર ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક 9 વર્ષની કિશોરી અને બે પુરૂષો ઘાયલ થયા છે. ફાયરિંગ ચારથી પાંચ રાઉન્ડ થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, વધુ સારવારની જરૂર હોવાથી તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા એલ.સી.બી. અને ભિલોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી દીધી છે. કથિત રીતે આ ફાયરિંગ નિવૃત્ત પી.એસ.આઈ. વૈભવ બરંડા અને તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે બંને આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરી છે અને ભાણમેર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
