ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવને પગલે ગુજરાતનું સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ અંતર્ગત, ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર અને નજીકના મેશ્વો ડેમ ખાતે બોમ્બ સ્કવોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, શુક્રવારે સુરક્ષા એજન્સીઓએ શામળાજી મંદિર પરિસર અને મેશ્વો ડેમ વિસ્તારમાં ઝીણવટભરી તપાસ કરી હતી. મંદિર દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને વાહનોનું પણ બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ અણબનાવને ટાળવા માટે સ્થાનિક પોલીસની સાથે વધારાની સુરક્ષા ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં, ખાસ કરીને સરહદી જિલ્લાઓ જેવા કે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સુરક્ષા વધારી દીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. રાજ્યમાં ૧૫ મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ, હોટલ-ગેસ્ટહાઉસમાં આવતા પ્રવાસીઓ પર નજર રાખવા અને બસ તથા રેલવે સ્ટેશનો પર સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

અહેવાલ: યોગેશ શાહ, મોડાસા