જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ગુજરાત પોલીસે સઘન તપાસ હાથ ધરી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કોમ્બિંગ ઓપરેશન કરી કાર્યવાહી કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વહેલી સવારે ઓપરેશન હાથ ધરીને 400થી વધુ શંકાસ્પદ ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં લીધા છે. બાતમીના આધારે ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રીતે વસતા 457 બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે આ કાર્યવાહી કરાઈ હતી. રાત્રિ દરમિયાન ઘરોની તપાસ કરીને અટકાયત કરાયેલા લોકોને મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડ પર એકત્રિત કરી તેમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
સુરત પોલીસે પણ સઘન તપાસ હાથ ધરીને 100થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. શહેરના ઉન, સચિન, લિંબાયત અને લાલગેટ સહિતના વિસ્તારોમાં 6 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા તમામ લોકોને રિંગ રોડ ખાતે ભેગા કરી તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ આધાર કાર્ડ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.