ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રાધાકુઈ નજીક ગત બુધવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. રાધાકુઈથી અરજણજીના મુવાડા વચ્ચેના રોડ પર એક ડાલા ગાડી અને બાઇક વચ્ચે અથડામણ થતાં બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે.

પોલીસ ફરિયાદ અનુસાર, બાઇક નંબર GJ-18-DH-0590 પર નરેશકુમાર ચંન્દ્રસિંહ ચૌહાણ અને ફરિયાદીના પૌત્ર યુવરાજસિંહ સવાર હતા. તેઓ દેવકરણના મુવાડાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ડાલા નંબર GJ-27-YU-3585 સાથે તેમનો અકસ્માત થયો હતો. ડાલાના ચાલક જશવંતસિંહ દલપતસિંહ ચૌહાણની બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નરેશ અને યુવરાજને તાત્કાલિક દહેગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકોના પરિજનો દ્વારા દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.