સોમવારે સમગ્ર રાજ્યભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થનાર છે. તે પહેલાં સ્કૂલોમાં પણ જન્માષ્ટમી પર્વ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. માણસા તાલુકાના વિહાર ખાતે વેદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમી પર્વ ઉજવાયો હતો. જેમાં નાના ભૂલકાઓ કૃષ્ણ, રાધા અને ગોવાળ બની આવ્યા હતા. સૌપ્રથમ ભગવાન પૂજા-અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર બાદ બાળકો દ્વારા મટકી ફોડવમાં આવી હતી.

ભગવાન કૃષ્ણ પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં રાસ રમી ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. આચાર્ય વિરલભાઈ સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.