ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ઉઠાવી વિપક્ષે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. ટૂંકી મુદતના પ્રશ્ન વખતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે, દાંતામાં સતત ગેરહાજર રહેતાં શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરાઈ હોવા છતા કોઈ પગલાં લેવાયાં નથી. વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતાં શિક્ષકો જ નહીં, જવાબદાર આચાર્ય- શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ.વિપક્ષે સતત ગેરહાજર રહેતાં અને વિદેશ પ્રવાસે નીકળેલાં શિક્ષકો સામે સખત કાર્યવાહીની માંગ સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે. જો કે, શિક્ષણ મંત્રીએ એવો જવાબ આપ્યો કે, ’60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. શિક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો હતો કે, એકે ય ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી.કુલ મળીને બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં ત્રણ માસથી વધુ સમયથી ગેરહાજર હોય તેવા 70 શિક્ષકો ઉપરાંત વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા 60 શિક્ષકો સાંમે કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10 શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે અન્ય ગુલ્લીબાજ શિક્ષકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે…..
