જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા દિલ્હીમાં ત્રીજી ભારત-જાપાન ‘2+2′ મંત્રણા માટે પહોંચ્યા છે ત્યારે બીજીબાજુ હિંદ મહાસાગરમાં ચીન પોતાનું ઘમંડ દેખાડી રહ્યું છે અને સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. તેનો સામનો કરવા માટે ભારત એક મોટું પગલું ભરવાનું વિચારી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે મોટી ડીલ થઈ શકે છે. આ ડીલ દ્વારા ભારત પોતાના મિત્ર જાપાન પાસેથી નેવી માટે એન્ટેના ખરીદી શકે છે. આ ડીલથી હિંદ મહાસાગરમાં ચીનની તમામ રણનીતિ નિષ્ફળ જશે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલ અંગેની માહિતી આજે ભારત-જાપાન “2+2” મંત્રી સ્તરીય બેઠક દરમિયાન આપવામાં આવી શકે છે. એન્ટેનાની મદદથી ભારતીય નૌકાદળ સમુદ્રમાં તેના દુશ્મનો પર હુમલો કરશે. એન્ટેના મિસાઈલ અને ડ્રોનની ગતિવિધિઓને ઝડપથી પારખવામાં સક્ષમ છે.જાપાન અને ભારત વિદેશ અને સંરક્ષણ મંત્રાલયોની સહભાગિતા સાથે દિલ્હીમાં 2+2 મંત્રણા કરશે.ત્યારબાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના જાપાની સમકક્ષ કિહારા મિનોરુ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે જેથી બંને વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ ગાઢ બને. દેશો સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે દ્વિપક્ષીય વાટાઘાટો અને 2+2 મીટિંગ દરમિયાન, મંત્રીઓ સહકારની સમીક્ષા કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી પહેલોની શોધ કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશે.
