સુરત: જરૂરિયાતમંદ બાળકો કે વડીલો અથવા રસ્તે રઝળતા લોકો માટે અનેક NGO અને સામાજિક કાર્યકરો કાર્યરત હોય છે. એનજીઓ સિવાય અનેક સામાજિક કાર્યકરો પણ હોય છે કે, જેઓ કોઈ એનજીઓ કે ટ્રસ્ટ વગર લોકોની મદદ અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા હોય છે. આજે આપણે આવા જ એક સામાજિક કાર્યકર વિશે વાત કરીશું જે વિખુટા લોકોને પરિવાર સાથે મળાવવાની સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

રઝળતા ,કે કઢંગી હાલતમાં બેસી રહેલા લોકો માટે દૂત સમાન
આ યુવા સામાજિક કાર્યકરનું નામ જીગર રાવલ છે. જીગરભાઈ રસ્તા પર ભીખ માંગતા બાળકોને ભણાવવાની સાથે સાથે વિખુટા પડેલા લોકોને પરિવાર સાથે મળાવવાનું કામ કરે છે. માહિતી અનુસાર,બે સમયના ભોજન માટે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગી અથવા નાનું-મોટું કામ કરીને ગુજારો કરી રહેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જે બાળકો 15-15દિવસ સુધી ન્હાતા પણ નથી તેવા બાળકોને જીગર રાવલે 7 વર્ષ પહેલા પુસ્તક સાથે જોડી દીધા છે. બાળકોને આત્મસન્માનથી જીવવાની શીખ આપવી એવું લક્ષ્ય જેમણે બનાવી દીધું છે એવા જીગરભાઈ રસ્તે રઝળતા ,કે કઢંગી હાલતમાં બેસી રહેલા લોકો માટે પણ દૂત સમાન બન્યા છે.
કોઈ NGO વગર આ કામની શરૂઆત કરી
એક દિવસ આ બાળકોને જમાડવા માટે પર્વત પાટિયા વિસ્તારમાં ગયા એ સમયે ભોજન માટે લડતા અર્ધ-નગ્ન બાળકોને જોઈને તેમને વિચાર આવ્યો કે, તેમને આત્મસન્માનથી જીવતા શીખવાડવા માટે તેમને શિક્ષિત કરવા જોઈએ. જે વિચાર સાથે ચાલીને તેમણે વગર કોઈ NGO વગર આ કામની શરૂઆત કરી હતી. તેઓ હાલ અત્યારે એક રેસ્ટોરન્ટ ચલાવી આવી રહ્યા છે.
હાલના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન અને પૈસા કમાવવા માટે કરી રહ્યા છે. એવા સમયે જીગરભાઈ આ સોશિયલ મીડિયા થકી અનેક વિખુટા પડી ગયેલા લોકોને શોધી રહ્યા છે.
ભિક્ષાથી શિક્ષા તરફ વાળવાનો પ્રયત્ન
પોતાની કામગીરીને લઈ જીગર રાવલે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી હું સેવાના કાર્ય સાથે જોડાયેલો છું. ઝુપડપટ્ટીના બાળકો કે જે ભીખ માંગતા હતા. તેમની ભિક્ષાથી શિક્ષા તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લોકોને મદદ પણ કરી રહ્યા છે. એવા કોઈક કારણો છે. જે ઘરની બહાર નીકળી ગયા છે અને તેમની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. તેઓની પરિસ્થિતિ એવી હોય છે કે, વાળ કે દાઢી વધી ગયા હોય તો ઓળખમાં પણ આવતા હોતા નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે તે સ્થળેથી તેમને રેસ્ક્યુ કરીને સુરત મહાનગરપાલિકાના શેલ્ટર હોમ છે. ત્યાં તેમને આશરો આપવા માટેની પ્રોસેસ કરું છું. અત્યાર સુધીમાં મેં 26 જેટલા લોકોનો ભેટો તેમના પરિવાર સાથે કરાવ્યો છે. બિહાર ,છત્તીસગઢ ,રાજસ્થાન ,ઉત્તર પ્રદેશ જેવા અલગ અલગ રાજ્યના પરિવારોને તેમના વિસરાયેલા સ્વજન મળ્યા છે. જેમાંથી કોઈ 25 વર્ષ પછી તો કોઈક 16 વર્ષ પછી ઉપરાંત કોઈ 2-3 વર્ષ બાદ પરિવારને મળ્યા હોય તેવા પણ લોકો છે.