માણસા તાલુકાના આજોલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય જે એસ પટેલ અને કલેક્ટર મેહુલ દવેની ઉપસ્થિતિમાં કુલ 1000 રોપાનું વૃક્ષારોપણ કરાયું હતું. વૃક્ષોના જતન અને જાળવણીની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આજના સમયમાં વૃક્ષોનું કેટલું મહત્વ છે તેની પણ સમજ અપાઈ હતી. ત્યારબાદ ધારાસભ્ય અને કલેક્ટરે સિદ્ધેશ્વર હનુમાન મંદિર ખાતે દાદાની પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા. અંતમાં પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પુસ્તકાલયની મુલાકાત કરી હતી.કલેક્ટરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ સ્ટાફ સહિત કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો જ્યારે પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કર્યા હતા.


આ કાર્યક્રમમાં મામલતદાર કિશનભાઈ ચૌધરી, ભાજપ નેતા કિરપાલસિંહ ચાવડા, તાલુકા-જિલ્લા સદસ્યો, ભાજપ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.