સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામે પાણી શુદ્ધીકરણ માટે વેડંચા મોડેલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જેના થકી ગામના ગટરના અશુદ્ધ પાણીને શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. તેમજ વધારાના પાણીને નદીમાં વહેવડાવી દેવાય છે. પાણી શુદ્ધ થતાં વધેલા કચરાને કાળા સોના તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય.આ અંગે ગામના સરપંચ વિનોદભાઇ જણાવે છે કે, જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગલોડીયા ગામે આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ થકી અશુદ્ધ પાણીની એક એક બુંદને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકાય છે. જેના કારણે પાણીનો બચાવ થાય છે. ગામની ગટરનું ગંદુ પાણી તળાવમાં એકત્રિત કરી મોટર દ્વારા પ્લાન્ટમાં નાખવામાં આવે છે.આ પ્લાન્ટમાં ચાર અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ કુંડીમાં કોલસા અને ફટકડી દ્વારા પાણીનું શુદ્ધીકરણ થાય છે તે પાણી બીજી કુંડીમાં અને ત્યાર બાદ ત્રીજી કુંડીમાં રેતી અને પથ્થરોમાં શુદ્ધ થયા બાદ ચોથી કુંડીમાં શુદ્ધ પાણી મળે છે. આ પાણી ખેતી માટે ઉપયોગ કરી શકાય છે તેમજ આ કુંડીઓ સાફ કરતાં અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ થતાં નીચે વધેલા કચરાને સુકવી તેમાંથી ફળદ્રુપ ખાતર મળી રહે છે. જે ખેતીમાં ઉપયોગ કરી શકાય છે.આ પ્લાન્ટ થકી આઠ લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ઉપયોગી પાણી બનતાં પાણીનો સદુપયોગ થઈ રહ્યો છે. વધુમાં વિનોદભાઇ આ પ્લાન્ટના ફાયદા જણાવે છે કે, આ પ્લાન્ટની પાછળ આવેલા સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં આ પાણી અપાય છે. ગામનું પાણી અહિં શુદ્ધ થતાં પાણીની બચત થતાં ભવિષ્યમાં અમે ભૂગર્ભ કૂવા રીચાર્જ કરી પાણીના તળ ઉંચા લાવી શકીશું.
