માણસા વલ્લભ ચોક ખાતેથી 51મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. રથયાત્રા નગરચર્યએ નીકળે તે પહેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ શ્રીફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા મસ્જિદ ચોકે પહોંચતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વાગત કરાયું હતું. જે બાદ મેઈન બજાર, શાકમાર્કેટ, એસટી ડેપો, ઇટાદરા ચોકડી, સજ્જનનગર, અલકાપુરી, પોલીસ સ્ટેશન થઈને મંદિર ખાતે પરત ફરી હતી. ઠેર ઠેર રથયાત્રાનું પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરાયું હતું. અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા હતા.


જય રણછોડ, માખણ ચોર ના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાયું હતું. રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રામાં માણસા રેંજ ફોરેસ્ટ ઓફિસ, અને ટીમ્બર એસોસિએશન દ્વારા વૃક્ષોનું વિતરણ કરાયું હતું. રથયાત્રામાં આવતા નાગરિકોને વૃક્ષો આપવામાં આવ્યા હતા.