સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 39 વર્ષીય આશ્લેષ પંડ્યા છેલ્લા 21 વર્ષથી રક્તદાન કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે 82 વખત રક્તદાન કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.આશ્લેષ ભાઈ જણાવે છે કે, એકવાર બાળપણમાં રક્તદાન વિશે સાંભળ્યું ત્યારથી જ વિચાર્યું હતું કે 18 વર્ષની ઉંમર થતાં જ હું રક્તદાનની શરૂઆત કરીશ. પ્રથમ વખત 7મી માર્ચ 2003માં રક્તદાન કર્યું હતું. ત્યાર બાદ દર ત્રણથી ચાર મહિને વર્ષમાં 3થી 4 વખત રક્તદાન કરે છે.આશ્લેષભાઈ જણાવે છે કે, પોતે ખાસ કરીને થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન કરે છે. રક્તનો કોઈ વિકલ્પ નથી. એક વ્યક્તિએ કરેલું રક્તદાન અનેક લોકોને જીવનદાન આપી શકે છે. અત્યાર સુધીમાં આશ્લેષભાઈએ 82 વખત રક્તદાન કર્યું છે. તેઓ જણાવે છે કે, દરેક પુખ્ત અને તંદુરસ્ત વ્યક્તિએ રક્તદાન કરવું જોઇએ. રક્તદાનથી કોઇ પણ જાતની તકલીફ પડતી નથી.આશ્લેષભાઈ વ્યવસાયે મોટર મિકેનિકલનું કામ કરે છે. જે શારીરિક મહેનતનું કામ હોવા છતાંય રક્તદાનથી તેમને ક્યારેય તકલીફ નથી થઈ. આશ્લેષભાઈના આ સેવા કાર્ય બદલ વિશ્વ રક્તદાન દિવસે રેડ ક્રોસ સોસાયટી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યુવાન આશ્લેષભાઈ અન્ય લોકોને રક્તદાન કરવા અપીલ કરે છે. રક્તદાન મહાદાન છે. જે અનેક લોકોને જીવન દાન આપી શકે છે માટે આવો સૌ રક્તદાન કરીએ જીવન બચાવવાની પ્રેરણા આપી રહ્યા છે.
