વડોદરાથી ઇડર તરફ જતી એસટી બસના ચાલકે બેદરકારી પૂર્વક પૂરપાટ ઝડપે એસટી બસ હંકારતા હતા. એ સમયે ભિલોડાના માંકરોડા પાસે અંબાજી દર્શન કરી પરત ફરી રહેલી મહિસાગર જિલ્લાના વીરપુરના પરિવારની કારને જોરદાર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ચાલક સહિત 4 મુસાફરોને ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈ ભિલોડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારચાલકની ફરિયાદ લઈ અજાણ્યા એસટીચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
