બાળકોના ભણતર અને ઘડતરના એક અભિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકો સરકારી સ્કૂલમાં દાખલ થાય એ પ્રયાસ હેતુ ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત માણસા તાલુકાના આજોલ ખાતે સંસ્કાર તીર્થમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ.1માં બાળકોને પ્રવેશ અપાયો હતો. ત્યારબાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌને પર્યાવરણનું જતન કરવા માટે આહ્વવાન કરાયું હતું.



વધુમાં સંસ્કાર તીર્થમાં 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ 2 ક્લાસરૂમ અને અટલ લેબનું લોકાર્પણ કરાયું હતું. કોમ્પ્યૂટર લેબ અને વોકેશનલ ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય જે એસ પટેલ, કલેક્ટર મેહુલ દવે, ડીડીઓ એસ કે મોદી, મામલતદાર કિશનભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી, શાળાના ટ્રસ્ટી યોગીનીબેન, આચાર્ય અંજનાબેન પટેલ, શાળા સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.