ગાંધીનગર: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુરુવારે (૧૯મી જૂન) વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં બે કલાકમાં જ ૪ ઇંચ ખાબક્યો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૨૦ ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં ૪ જિલ્લામાંથી ૧૦૬૦ લોકોનું સ્થળાંતર કરાયું છે અને ૧૮૯ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભાવનગરમાંથી ૭૨૯, સુરેન્દ્રનગરમાંથી ૧૧૭, બોટાદમાંથી ૧૧૭ અને અમરેલીમાંથી ૮૦ લોકોને સ્થળાંતરિત કરાયા છે. જ્યારે ભાવનગર, અમરેલી, બોટાદ અને ગાંધીનગરમાંથી કુલ ૧૮૯ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હવામાન વિભાગે શુક્રવારે (૨૦મી જૂન) ડાંગ, નવસારી, અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગુરુવારે રાજ્યના ૯૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાંથી ૩૫ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે ભાવનગરના એક નેશનલ હાઈવે સહિત કુલ ૧૯૬ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે, જેમાં ભાવનગરના ૬૦ અને વલસાડના ૪૯ રસ્તાઓનો સમાવેશ થાય છે. NDRFની ૧૩ અને SDRFની ૨૦ ટીમો તહેનાત કરાઈ છે.
