મોડાસા શહેરના કસ્બા વિસ્તારમાં કમળાના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. શુક્રવારે આરોગ્ય વિભાગની 12 ટીમો દ્વારા આશરે પાંચ હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, કમળાના છ જેટલા શંકાસ્પદ કેસ મળી આવ્યા છે અને સર્વેની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. ટીમો દ્વારા કમળાથી બચવા માટેની જરૂરી વિગતો અને સાવચેતીના પગલાં અંગે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ વિસ્તારમાં વેચાતા 875 કિલો પેપ્સી કોલાનો નાશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, મોડાસા નગરપાલિકાના સેનેટરી વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને વિસ્તારના જુદા જુદા સ્થળોએથી અખાધ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. ડો. પરમારે વધુમાં જણાવ્યું કે, નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સંકલન સાધીને સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. (અહેવાલ: યોગેશ શાહ, મોડાસા)