અમદાવાદ શહેરમાં આગની ઘટનાઓ પર ઝડપથી કાબૂ મેળવવા માટે ફાયર સ્ટેશનોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં દર 10 કિમીના અંતરે એક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. હાલમાં શહેરમાં 19 ફાયર સ્ટેશન છે, જેમાં ચાલુ વર્ષે 5 નવા ફાયર સ્ટેશન ઉમેરવામાં આવશે. આ નવા ફાયર સ્ટેશન રાણીપ, લાંભા, શાહીબાગ, રામોલ-હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે બનાવવામાં આવશે. હાલમાં ગોતા અને ત્રાગડમાં 36 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા નવા ફાયર સ્ટેશનનું કામ પૂર્ણ થવાના આરે છે. આ બે ફાયર સ્ટેશન કાર્યરત થયા બાદ શહેરમાં ફાયર સ્ટેશનની સંખ્યા 21 થશે. આ ઉપરાંત પાંચકુવા અને દાણાપીઠ ફાયર સ્ટેશનના નવીનીકરણનું કામ પણ ચાલી રહ્યું છે.
