અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની મેચ રમાશે. આ મેચને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસે કેટલાક રૂટ પર ડાયવર્ઝન જાહેર કર્યા છે. સ્ટેડિયમ આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવર નિયંત્રિત રહેશે, તેથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
મેચ જોવા આવતા દર્શકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજરોજ અને આગામી મેચોની તારીખોએ મેટ્રો સેવા સવારે 6:20 થી મધ્યરાત્રિના 12:30 સુધી કાર્યરત રહેશે. રાત્રે 10:00 વાગ્યાથી 12:30 વાગ્યા દરમિયાન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. મોટેરા સ્ટેડિયમથી છેલ્લી ટ્રેન રાત્રે 12:30 વાગ્યે રવાના થશે. હવામાન વિભાગે આજે અમદાવાદનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલ ડાયવર્ઝન અને મેટ્રોના બદલાયેલા સમય અંગે વધુ માહિતી માટે ટ્રાફિક પોલીસની વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી છે.
