ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી અંદાજે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. જેમાં ધોરણ 10ના 9 લાખથી વધુ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 લાખથી વધુ અને વિજ્ઞાન પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ પરીક્ષાને લઈને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, પરીક્ષાને તણાવ તરીકે નહીં, પરંતુ ઉત્સવ તરીકે લેવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી કોઈ એક વિષયમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેણે નિરાશ થવાની જરૂર નથી.
