કલોલના કોલેરા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન રોગ અટકાયતી પગલાં ભરવા જિલ્લા કલેકટર મેહુલ દવે સંબંધિત અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કલોલ ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ પાણીના સુપર ક્લોરીનેશન ઉપરાંત તાત્કાલિક ધોરણે લીકેજ શોધવા અને શહેરભરમાં સ્વચ્છતા ઝુંબેશ માટે ખાસ સુચના આપી હતી.

આ બેઠકમાં રોગચાળો ફેલાતો અટકે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વેની વિગતો આપવામાં આવી હતી. તેમજ ઝાડા-ઉલટીના દર્દીઓને ઝડપથી સારવાર પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓઆરએસ પેકેટના વિતરણ અંગે પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
આ બેઠક બાદ જિલ્લા કલેકટરને સરકારી દવાખાનામાં તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરૂ મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. કલેક્ટર એ દર્દીઓને આપવામાં આવી રહેલી સારવાર સંદર્ભે પણ વિશેષ માહિતી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ રોગ અટકાયતી પગલાં ઉપરાંત રોગ સામે રાખવાની કાળજી સંદર્ભે લોકજાગૃતિના પગલાં ભરવા પણ ખાસ અનુરોધ કર્યો હતો
આ મુલાકાત સંદર્ભે પ્રાંત અધિકારી જૈનિલ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ. જે. વૈષ્ણવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.