મહિસાગર જિલ્લામાં વધુ એકવાર મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. વિરપુર તાલુકામાં જમણાવત ગામે અગમ્ય કારણોસર કાચા મકાનમાં ગત રાત્રિ દરમિયાન આગ લાગી હતી. મોડી રાત્રિએ આગની ઘટના બનતા વિરપુર પોલીસની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા ફાયર સેફ્ટી માટે રાખેલી બોટલ વડે આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.મળતી પ્રાથમિક વિગતો અનુસાર, જમણાવત ગામે મોડી રામાભાઇ ઠાકોરના કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર અને પોલીસને જાણ કરી આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં પોલીસને કોલ મળતા જ તાત્કાલિક પહોંચી ફાયર સેફટીના સાધનોનો સમયસર ઉપયોગ કરી આગને વધુ ફેલાતા અટકાવી હતી. આગ આગળ વધી અન્ય મકાનોને ચપેટમાં લે તે પહેલાં પોલીસ અને સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટ થતા ઘાસચારામાં લાગી હતી ત્યાર બાદ તે ઘર સુધી ફેલાઈ હોવાનું અનુમાન છે. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.