ગાંધીનગર: ચીલોડા-હિંમતનગર હાઈવે પર વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ એક નવી પહેલ કરી છે. ટ્રાફિક પોલીસ અને ચીલોડા પોલીસે સંયુક્ત રીતે આ સમસ્યાને નાથવા માટે કમર કસી છે. હાઈવે પર રખડતા ઢોરોના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થતાં પોલીસે આસપાસના ગામોના પશુપાલકોનો સંપર્ક કર્યો છે. પોલીસે તેમને તેમનાં પશુઓને નિયંત્રણમાં રાખવા માટે સૂચનાઓ આપી છે અને રસ્તા પર રખડતા ઢોર જોવા મળશે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, ચીલોડા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની આસપાસ ગેરકાયદેસર લારી-ગલ્લાંનું દબાણ અને આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા પણ ટ્રાફિક માટે અવરોધરૂપ છે.
હાઈવે પર ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવતું આડેધડ પાર્કિંગ પણ અકસ્માતોનું કારણ બની શકે છે. અગાઉ પોલીસે હાઈવે પર નો-પાર્કિંગ ઝોનના બોર્ડ લગાવ્યા હોવા છતાં, રખડતા ઢોરની સમસ્યાએ માથું ઊંચક્યું છે. ગમે ત્યારે રસ્તા પર આવી જતાં ઢોરોના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. પોલીસના આ કડક પગલાંથી હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે.
