વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોના પુન:સ્થાપન માટે કાર્યરત આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ હીઝ હોલિનેસ પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોપ ફ્રાન્સિસને પરંપરાગત મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા સુધારાવાદી આધ્યાત્મિક ગુરુ ગણાવ્યા હતા.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “પોપ ફ્રાન્સિસ પૂર્ણ આસ્તિકતા સહ પરંપરાગત મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા હતા, તેમ છતાં તેમની વિચારદ્રષ્ટિ વિશિષ્ટ હતી. તેઓ સુધારાવાદી હતા અને વિભિન્ન ધર્મો વચ્ચે પરસ્પર સંવાદની સ્થાપના થાય તે માટે પ્રબળ સમર્થક હતા. પર્યાવરણ સુરક્ષા માટે તથા હ્યૂમન ટ્રાફિકિંગને અટકાવવા માટેના તેમના પ્રયાસો અત્યંત સરાહનીય છે. પરસ્પર વધુ ને વધુ સમજ કેળવવાની તેમની અપીલ, તેમના અનેક અનુયાયીઓને નિરંતર પ્રેરણા આપશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આર્ટ ઓફ લિવિંગ દ્વારા દિલ્લી અને વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજાયેલ વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલમાં પણ તેઓએ પોતાના પ્રતિનિધિ સાથે સદભાવના સંદેશ પાઠવ્યો હતો.
પોપ ફ્રાન્સિસના નિધનથી વૈશ્વિક આધ્યાત્મિક સમુદાયમાં શોકનું મોજું છવાઈ ગયું છે. તેમના માનવીય મૂલ્યો અને ધાર્મિક સંવાદના પ્રયાસોને વિશ્વભરમાં સરાહના મળી રહી છે.
