સાદરા પ્રાથમિક શાળામાં આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આંગણે ભાવભીનું વાતાવરણ છવાયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આચાર્યશ્રી રંજન બેને સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહેમાનોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ધોરણ 8ના વિદ્યાર્થીઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા, જેમાં તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. સ્વ. ઈબ્રાહીમભાઈ કડિયા તરફથી શાળાને બે પંખાનું દાન આપવામાં આવ્યું હતું. શિક્ષિકા નીલમબેને વિશ્વ મહિલા દિવસ પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમમાં સાદરા ગામના સરપંચ મહેશભાઈ રાવલ, તાલુકા પંચાયત સભ્ય આશાબેન ચૌહાણ, અચીવ એજ્યુકેશનના અજય સર, એસએમસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો, ગામના દાતાઓ, વાલીઓ, શાળાના આચાર્ય, સ્ટાફ મિત્રો, નિવૃત્ત શિક્ષક નરેન્દ્રસિંહ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પાવભાજી અને છાશનું ભોજન પીરસવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ધર્મેન્દ્રભાઈ રાવલે સુવ્યવસ્થિત રીતે કર્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌનો આભાર માણ્યો હતો.