જંબુસર તાલુકાના કાવી ગામે એક યુવક અને સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના કાવી ગામના વાવડી ફળિયામાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સગીર અને સગીરા એકબીજાને પ્રેમ કરતા હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓએ એક જ દુપટ્ટા વડે લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. કાવી પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ આર.એસ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પીએસઆઈ આર.એસ. ચાવડાએ જણાવ્યું હતું કે, બંને મૃતક એક જ ફળિયામાં રહેતા હતા અને એક જ સમાજના હતા. તેઓ એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર ઘરેથી નીકળીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારને પણ આ અંગે કોઈ જાણ નહોતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.

રિપોર્ટર: ડી. એન. વાઘેલા, જંબુસર